ઉત્તરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે જેની લપેટમાં આવતા આશરે 47 જેટલાં શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 57 જેટલાં શ્રમિકો દટાયા હતા પણ 16 ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે.મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે એક ખાનગી કોન્ટ્રાક્ટરના કામદારો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે કામ કરી રહ્યા હતા. તે બધા BRO કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરના કામદારો હતા. જ્યારે દર્ઘટના સર્જાઈ, ત્યારે બધા અફરા-તફરીમાં ભાગવા લાગ્યાં. તેમાંથી કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે 57 શ્રમિકો બરફમાં દટાયા હતાં.
પર્વતીય વિસ્તારમાં બગડ્યું હવામાન
જણાવી દઈએ કે, છેલ્લાં બે દિવસથી પર્વતીય વિસ્તારમાં હવામાન ખૂબ જ ખરાબ છે. ઉત્તરાખંડની સાથે, હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો નદીઓ તોફાની બની છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે. રાજ્યના કુલ્લુ જિલ્લામાંથી વિનાશના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદે અહીં એટલી તબાહી મચાવી છે કે નદી-નાળા છલકાઈ ગયા છે.શુક્રવારે (28 ફેબ્રુઆરી), હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડી જિલ્લામાંથી પણ આવા જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મંડી જિલ્લાના ઓટ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કુલ્લુમાં, ગટરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનો તણાઈ ગયાના કિસ્સા સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.